Salangpurમાં શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં 70%થી વધુ કાર્ય પૂર્ણ, એક સાથે 1 લાખથી વધુ લોકો જમી શકે એવું ભોજનાલય અને 30 હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એવું પાર્કિંગ ઊભું કરાયું
વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર શતામૃત મહોત્સવના ટાણે મઘમઘી રહ્યું છે. હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે મહોત્સવ ગ્રાઉન્ડમાં દેશ-વિદેશના 15000 જેટલા સ્વયંસેવકો અથાક સેવા કરી રહ્યા છે.
મહત્ત્વનું છે કે, અત્યારે શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં પ્રદર્શન વાટિકા, નિશુલ્ક ભોજનાલય, 108 યજ્ઞ કુંડ, ઉતારા, સભા મંડપ અને અખંડ ધૂન માટેનું કાર્ય 70%થી વધુ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે મહોત્સવ ગ્રાઉન્ડની મુલાકાત લઈને તૈયારી કરાવતા સંતો અને સ્વયંસેવકો સાથે ગુજરાતી જાગરણની ટીમે વાતચીત કરી હતી. જે અમે અહીં રજૂ કરીએ છીએ.
શ્રીહનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન
કોઈપણ ઉત્સવનું આનંદદાયક સ્થળ એટલે પ્રદર્શન. આ મહોત્સવમાં શ્રીહનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હરિકૃષ્ણ સ્વામી (રાજકોટ ગુરુકુળ)ના માર્ગદર્શન હેઠળ 250થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રદર્શનમાં પ્રવેશ કરતા જ ભક્તોને ભવ્ય પ્રવેશ દ્વારનું દર્શન થશે.
જે બંગાળી કારીગરો દ્વારા કલાકૃતિ કરીને બનાવવામાં આવ્યું છે. આ પ્રદર્શન 45 વીઘા જમીનમાં ઊભું કરાયું છે. જેમાં 18 ડોમમાં જુદા-જુદા વિભાગો બનાવાયા છે. આ ઉપરાંત 2 ખાણી-પીણીની કેન્ટીન પણ બનાવવામાં આવી છે. જેમાં ખૂબ જ ઓછી કિંમતે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો ભક્તો આરોગી શકશે.
ભક્તો મુખ્ય દ્વારથી અંદર આવશે ત્યારે તેમને સૌ પહેલા શ્રીકષ્ટભંજન દેવ વંદના સર્કલમાં 10 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન થશે. પ્રદર્શનના જુદા-જુદા વિભાગોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલેરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, વિભિન્ન ફાઉન્ટેન અને તળાવ, નાના-નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આમ, 45 વીઘા જમીનમાં પારિવારિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતું આ ભવ્ય પ્રદર્શનમાં પ્રવેશ કરવા માટે સવારે 10:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ પ્રદર્શન આગામી 9 નવેમ્બર 2023થી 22 નવેમ્બર 2023 સુધી ચાલશે. તો Salangpur ની આજુ-બાજુના ગામ અને જિલ્લાના લોકોએ 9થી 15 તારીખ સુધી લ્હાવો લઈ લેવો. જેથી શાંતિથી પ્રદર્શનની મજા માણી શકાય.
દરરોજ એકસાથે 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે એવું વિશાળ ભોજનાલય
રસોડા વિભાગની સેવા સંભાળી રહેલા સ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે, 10 વીઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભક્તોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક મહાકાય રસોડાની તૈયારી ફુલ સ્પીડમાં ચાલી રહી છે.
અહીં એક લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટે અલગ-અલગ વિભાગ ઉભા કરાયા છે. જેમાં VIP, VVIP અને જનરલ વિભાગ બનાવાયા છે. તો રસોડા વિભાગની સેવામાં અને નૂતન ભોજનાલય એમ બંને જગ્યાએ થઈને 10,000થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહેશે.
આખા મહોત્સવમાં 40 લાખથી વધુ ભક્તો ભોજનાલયમાં નિશુલ્ક પ્રસાદ લેશે
મહોત્સવમાં આવતા દર્શનાર્થીઓ માટે રસોડા વિભાગમાં દરરોજ નક્કી કરાયેલા મેનુ મુજબ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ અને છાશ પીરસવામાં આવશે. દર્શનાર્થીઓ માટે રસોડામાં જમવા માટેનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રહેશે.
જે બાદ સાંજે 5:00 વાગ્યા થી રાતના 09:00 વાગ્યા સુધી ભોજન ગ્રહણ કરી શકશે. આમ અંદાજે આખા મહોત્સવ દરમિયાન 40 લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટેની વ્યવસ્થા શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા કરવામાં આવી છે.
હનુમાનજીના જીવન ચરિત્ર પર ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શૉ
આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ તૈયાર કરનારા વિવેક સ્વામી (હૈદરાબાદ)એ જણાવ્યું કે, ”Salangpurમાં જે લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે તેમાં 15થી 17 મિનિટ સુધીનો સમય નક્કી કરાયો છે. જેમાં 54 ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે તેના પર હનુમાનજીના જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો દ્વારા ઇફેક્ટ આપી આખો એક શૉ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાશે. ગોપાળાનંદ સ્વામીએ Salangpur હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં કરાશે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવશે.”
250 વિઘામાં પાર્કિંગ વ્યવસ્થા, 30 હજારથી વધુ ફોર વ્હીલર અને ટુવ્હીલર પાર્ક થશે
પાર્કિંગની વ્યવસ્થા અંગે વાત કરતાં ધર્મકિશોર સ્વામી (ડિ. કે. સ્વામી)એ જણાવ્યું કે, ”મંદિર અને મહોત્સવના 1 કિલોમીટરના રેડિયસમાં 250 વિઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. આ પાર્કિંગ મેઇન 5 મેઇન એન્ટ્રી ગેટ છે. જે બરવાળા, બોટાદ, લાઠીદળ, ગુંદા ગામ અને સાંચરિયા ગામ તરફથી આવતા લોકો માટે એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે.
આ સિવાય પાર્કિંગમાં 9 ચેકપોસ્ટ બનાવી છે. જેમાં VIP-VVIPના ત્રણ વિભાગ અને જનરલના 18 વિભાગ બનાવવામાં આવ્યા છે. આ પાર્કિંગમાં 30 હજારથી વધુ ફોર વ્હીલ અને ટુવ્હીલ પાર્ક કરી શકાશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, ”પાર્કિંગની વ્યવસ્થા મેનેજ કરવામાં 1800 સ્વયંસેવકો એમાંથી 1200 સ્વયંસેવકો ટ્રાફિક અને પાર્કિંગ ડિપાર્ટમેન્ટ સંભાળશે અને 600 સ્વયંસેવકો મંદિર, ભોજનશાળા, યજ્ઞશાળા અને પ્રદર્શનમાં સિક્યોરિટી તરીકે ખડેપગે રહેશે. 250 વીઘા પાર્કિંગ કરવા માટે 50 સ્વયંસેવકોએ બુલડોઝર સાથ ખેતર લેવલ કરીને પાર્કિંગ તૈયાર કર્યું છે. પાર્કિંગ 24 કલાક કાર્યરત રહેશે. જે 75% સ્વયંસેવકો દિવસે અને 25% રાત્રે કાર્યરત રહેશે.”
24 કલાક મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક દર્દીઓની તપાસ કરાશે
આ અંગે ડૉક્ટર જતીનભાઈએ જણાવ્યું કે, ”મહોત્સવ ગ્રાઉન્ડમાં મેડિકલ કેમ્પ કરવા માટે 10 હજાર સ્ક્વેર ફૂટમાં બે વિશાળ ડોમ ઊભા કરાયા છે. જેમાં 3 હાઇટેક ICU બેડરૂમ, 10 બેડરૂમ કન્સલ્ટિંગ અને 15 બેડ બ્લડ ડોનેશન માટે રાખવામાં આવશે. આમ એકસાથે 10 દર્દીની OPD અને 30 દર્દીને એક સાથે સારવાર આપી શકાશે.
આ મેડિકલ કેમ્પમાં 200થી વધુ દરેક રોગના નિષ્ણાંત ડૉક્ટર 24 કલાક ખડેપગે રહેશે. આ સિવાય આંખના કેમ્પમાં જબરેશ્વર હોસ્પિટલની ડૉક્ટરની ટીમ આવશે. મહોત્સવમાં આવતાં ભક્તોને તપાસ કરવામાં આવશે. પ્રારંભિક ચશ્મા આપવામાં આવશે. સંસ્થા કહેશે એ પછી ઓપરેશન કરી આપીશું.”
60 વીઘામાં બનાવાયેલા 700 ટેન્ટમાં 8400 લોકો આરામથી રહી શકશે
શતામૃત મહોત્સવમાં આવતા ભક્તો માટે ઉતારા વિભાગની વ્યવસ્થા સંભાળી રહેલા દિવ્ય સ્વામીએ જણાવ્યું કે, ”મહોત્સવમાં પધારનાર સર્વે ભક્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે છે. સંતો, સ્વયંસેવક અને દ્વારા આ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કુલ 60 વીઘા જમીનમાં ઉતારા બનાવવામાં આવી રહ્યા છે. જેમાં કુલ 700 ટેન્ટ બનાવાયા છે.
આ દરેક ટેન્ટમાં 12 બેડ હશે. એમ કુલ 8400 ભક્તો આરામથી રહી શકે એ માટે ટેન્ટમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં ભક્તો માટે ટોઈલેટ-બાથરૂમની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બાથરૂમમાં ગરમ પાણીની સુવિધા પણ ઋતુ અનુરૂપ રાખવામાં આવી છે.”
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, ”Salangpur હનુમાનજી મંદિરના સંતો દ્વારા મંદિર પરિસરમાં આવેલા ઉતારા, અનેક ભક્તોના મકાનો, બોટાદ અને ટાટમ ગામના ગુરુકુળમાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ઉત્સવમાં સેવા કરનારા સ્વયંસેવકોની ઉતારા માટે પણ મહોત્સવ ગ્રાઉન્ડની નજીક વ્યવસ્થા કરવામાં આવી છે.”
દરરોજ અલગ-અલગ 2100થી વધુ યજમાનો એક સાથે યજ્ઞશાળામાં યજ્ઞ કરશે
શ્રીકષ્ટભંજન દેવ સતામૃત મહોત્સવ અંતર્ગત દિવ્ય 108 કુંડી મારુતિ યજ્ઞ માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રાણપુર વાળા શ્રીજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે. આશરે 15 વીઘા જમીનમાં યજ્ઞશાળા, યજમાનો માટે ભોજનાલ ય તથા અખંડ ધૂન માટેના વિભાગો બનાવવામાં આવી રહ્યા છે. 2100 યુગલ યજમાનો આ યજ્ઞનો દિવ્ય લાભ પ્રાપ્ત કરશે. 125 થી વધુ પવિત્ર બ્રાહ્મણો હનુમાનજી મહારાજના મહિમાથી ભરપૂર વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ કરાવશે. મહત્વનું છે કયા યજ્ઞ શાળાનું 60%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.
સભા મંડપમાં 15,000થી વધુ ભક્તો એક સાથે સતસંગ સભા માણી શકશે
મહોત્સવના સભા મંડપનું કાર્ય કુંડળના શ્રી જ્ઞાનજીવન સ્વામીના સંત મંડળ તથા સ્વયંસેવકો દ્વારા પુરબહારમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં 300 ફૂટ X 600 ફૂટના મહાકાય ડોમ બનાવવામાં આવ્યો છે. સભા મંડપનું સ્ટેજ 90 ફૂટ X 30 ફૂટનું બનાવવામાં આવ્યું છે જે ફુલ એરકન્ડિશનિંગવાળું હશે.
જેમાં 15,000થી વધુ ભક્તો આરામથી બેસી શકે એ માટે સભા મંડપની અંદર અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ કરાવતા સભા મંડપની આસપાસ 1 લાખ સ્ક્વેર ફૂટમાં બ્લોક પાથરવાનું કાર્ય ચાલી રહ્યું છે. સંતો તથા સ્વયંસેવકોના અથાક પરિશ્રમથી 60% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. સભા મંડપમાં ઠેર-ઠેર ભક્તો સ્ટેજના વક્તાશ્રીના દર્શન કરી શકે તે માટે વિશાળ LED સ્ક્રિન લગાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
140 ગામના અલગ અલગ મંડળો દ્વારા અખંડ મહાધૂન કરાશે
શ્રી કષ્ટભંજન દેવ શતામૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ શાંતિ માટે દિવ્ય અખંડ ધૂનનું આયોજન અને દિવ્ય બનાવવાનું કાર્ય કરશે. અખંડ મહાધૂનમાં 1. શ્રી રામધુન, 2. શ્રી સ્વામિનારાયણ ધૂન, 3. હનુમાન ચાલીસા અને સુંદરકાંડની ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વેદાંત સ્વામીના માર્ગદર્શન હેઠળ આ આયોજન આકાર લઇ રહ્યું છે.
તેમના જણાવ્યા અનુસાર, ચાર અલગ-અલગ ડોમમાં આ ધૂન થશે. દરેક ડોમમાં આશરે 150થી વધુ ભક્તો ધૂન કરશે. આશરે 140 ગામના અલગ અલગ મંડળો દ્વારા આ ધૂન યોજવામાં આવશે. ધૂનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો છે અને અખંડ ધૂનની વ્યવસ્થામાં 150થી વધારે સ્વયંસેવકો સેવા કરી શ્રી કષ્ટભંજન દેવ નો રાજીપો પ્રાપ્ત કરશે.