Bhimanath Mahadev : ગુજરાતમાં આવેલી છે સહદેવે મોક્ષ અપાવ્યો હતો તે જગ્યા,અહીંનું શિવલિંગ હતું અપૂજ
Bhimanath Mahadev : મોરબી રાજકોટ હાઇવે પર લજાઇ ગામથી ડેમી ડેમ તરફ મેઇન રોડથી ચાર કિલોમિટરના અંતરે ભીમનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે, વર્ષો જૂની નાની દેરી ભવ્ય શિવાલયમાં રૂપાંતરીત છે
મોરબીના લજાઇ ગામે ભીમનાથ મહાદેવ બિરાજમાન
શિવજીની પુજા કરવા ભીમે શિવલિંગની સ્થાપના કરી
સહદેવે જોગણીઓને મોક્ષ આપ્યાની માન્યતા
મોરબી પંથકની આસપાસમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આવીને રહ્યા એટલે મોરબી જીલ્લામાં આવેલા પૌરાણીક મંદિરોની સાથે તેમનો ભવ્ય ઇતિહાસ પણ જોડાયેલો છે. અને એવુ જ એક મંદિર એટલે ભીમનાથ મહાદેવનું મંદિર. મંદિરમાં જે શિવલિંગ છે તેની સ્થાપના ભીમના હાથે કરવામાં આવી હતી માટે મહાદેવના શિવલિંગનું નામ ભીમનાથ રાખવામાં આવ્યુ છે. હાલમાં ડેમના કાંઠે આવેલા ભીમનાથ મહાદેવના ઐતિહાસિક મંદિરે આવી ભાવિકો શાંતિ મેળવી ધન્યતા પ્રાપ્ત કરે છે.
સમગ્ર ગુજરાતમાં પ્રચલિત
મોરબી રાજકોટ હાઇવે પર લજાઇ ગામથી ડેમી ડેમ તરફ મેઇન રોડથી ચાર કિલોમિટરના અંતરે ભીમનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે. ભીમનાથ મહાદેવના ભવ્ય મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ભરાતા લોકમેળામાં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. પાંડુરાજાના પુત્ર સહેદવ અને ભીમ અજ્ઞાતવાસ દરમ્યાન જોગધાર થઇ દ્વારકા કૃષ્ણ ભગવાનને મળવા માટે જઇ રહ્યા હતા ત્યારે શિવજીની પુજા કરવા ભીમે શિવલિંગની સ્થાપના કરી હતી જે આજે પણ ભીમનાથ મહાદેવ મંદિર તરીકે માત્ર મોરબી જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે.
આ પણ વાંચો : Dipeshwari ma : ગુજરાતનું તેજોમય સ્થળ ફુલના ઢગલાની પાસે દૈવત આકાશવાણી થઈ, એક ચુંદડી કરે છે મનોકામના પૂર્ણ
જૂની નાની દેરીને ભવ્ય શિવાલયમાં રૂપાંતરીત
એવુ પણ કહેવાય છે કે, સહદેવ અને ભીમ જ્યારે દ્વારકા જતા હતા ત્યારે જોગણીઓ તેમની પાછળ પડી હતી અને સહદેવે જોગણીઓને આ જગ્યામાં જ મોક્ષ આપ્યો હતો. ભીમનાથ મહાદેવ મંદિર લોકોના મનની શાંતિ માટેનું ધાર્મિક સ્થળ છે. લગભગ પાંચ હજાર વર્ષ જુના મહાદેવના મંદિરમાં વર્ષો સુધી શિવલીંગ અપુજ રહી હતી અને આ સ્થળ પણ અવાવરુ હતુ.
બિહામણી જગ્યા હોવાથી સામાન્ય રીતે લોકો મોડી સાંજ પછી આ સ્થળ પાસે આવતા પણ ન હતા અને ઘણી વખત લુંટફાટના બનાવો પણ બનતા હતા. છેલ્લા 25 વર્ષથી સોહમદત્ત બાપુ આ સ્થળ પર રહે છે અને તેમણે લજાઇ ગામના લોકો તેમજ શિવ ભક્તોના સહકારથી માત્ર ત્રણ બાય ત્રણની વર્ષો જૂની નાની દેરીને ભવ્ય શિવાલયમાં રૂપાંતરીત કર્યુ છે.
ભાવિકો મહાદેવના મંદિરે શિવભક્તિમાં તલ્લીન થઈ જાય છે
પ્રાચિન ઇતિહાસ ધરાવતુ ભીમનાથ મહાદેવનું મંદિર પહેલા ઉંડા ખાડા જેવા વિસ્તારમાં હતુ.. સોહમદત્ત બાપુના આવ્યા બાદ ધીમે ધીમે આ સ્થળનો વિકાસ થયો. ગ્રામજનો અને દાતાઓ તરફથી સહકાર મળતા લગભગ પાંચેક હજાર ટ્રક માટી નાંખી ખાડાને પૂરી, વૃક્ષો વાવી અવાવરુ તેમજ બિહામણા લાગતા સ્થળની કાયાપલટ કરી નાખી.
આ પણ વાંચો : Dwarka ના દરિયામાં સિગ્નેચર બ્રિજ તૈયાર આ તારીખે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો શું છે ખાસિયત…
હાલના સમયમાં મંદિરે યજ્ઞ તેમજ પિતૃ કાર્ય સહિતની ધાર્મિક વિધી કરવા માટે લોકો આવે છે. ભાવિકો મહાદેવના મંદિરે શિવભક્તિમાં તલ્લીન થઈ જાય છે. અને ધૂન, ભજન, કીર્તન કરી ધન્યતા અનુભવે છે.
સેવકોએ મંદિરની આસપાસ 500 થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ
વર્તમાન સમયના ભાગદોડ વાળા જીવનમાં લોકો થાકી જાય ત્યારે શિવના શરણમાં શાંતિનો અનુભવ કરે છે. મોરબી નજીકનું ભીમનાથ મંદિર ધાર્મિક રીતે તો ખૂબ જ પ્રચલિત છે… છેલ્લા ઘણા વર્ષોથી મંદિરના મહંત અને સેવકોએ મંદિરની આસપાસ 500 થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ છે. ચોમાસા બાદ વૃક્ષોની લીલોતરીના કારણે લીલી ચાદર ઓઢેલા પ્રકૃતિના ખોળે શુધ્ધ વાતાવરણમાં ભાવિકો ભીમનાથ મહાદેવના દર્શન કરી પ્રકૃતિનો આનંદ માણે છે.
સોહમદત્ત બાપુએ અપુજ શિવલિંગની વર્ષોથી પુજા શરૂ કરી
દેવાધી દેવ મહાદેવના આ મંદિરે શિવ ભક્તોની ભીડ વર્ષો વર્ષ વધી રહી છે ત્યારે મહાભારત સમયના આ મંદિરને જો સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તો બહારથી આવતા યાત્રીકોની સગવડતામાં વધારો થશે. મંદિરના મહંત સોહમદત્ત બાપુએ અપુજ શિવલિંગની વર્ષોથી પુજા શરૂ કરી છે અને ગાયોની સેવા કરવા ગૌશાળા માટે પણ વિશેષ યોગદાન કરવામાં લોકો તરફથી યથાયોગ્ય સહકાર મળી રહ્યો છે.
મંદિરે ભાવિકો લઘુઋદ્ર સહિતના યજ્ઞો કરવા માટે આવે છે અને શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રી સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના શરણે આવે છે. મંદિરે આવતા દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈ તંત્ર દ્વારા મંદિર સુધી પહોંચવા સારા રોડ બનાવી જરૂરિયાત પ્રમાણે સુવિધાઓ કરવાની જરૂર છે
more article : Gupta Navratri : આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ..